સુરતના ઓલપાડ તાલુકાના સરોલી ગામ ખાતે આવેલું છે સાઈબાબાનું કલ્યાણકારી ધામ. કહેવાય છે કે આસપાસના 40 ગામોના સહકારથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. અહિં ગર્ભગૃહમાં સ્થિત સાંઈબાબાની પ્રતિમા કરુણામયી અને કલ્યાણકારી ભાસે છે.. શ્રદ્ધા અને ધીરજનો જીવનમાં સંદેશ આપનાર સાંઈબાબા કહેતા કે માનવ સેવા જ પ્રભુ સેવા છે. તે જ વાતને સાર્થક કરતા વિવિધ લોકહિતના કાર્યો પણ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે.
વાત કરીએ આ સ્થાનકના નિર્માણની તો વર્ષ 1999માં સરોલી ગામમાં સાંઈબાબાનું મંદિર નહિ હતું, સૌ લોકોએ બાબાના દર્શન કરવા શહેરમાં જવું પડતુ.. તેથી મંદિરના ટ્રસ્ટી નગીનભાઈ બી પટેલ ઘ્વારા જમીન દાનમાં આપી તો સાથે જ આસપાસના 40 ગામલોકોનો પણ સહકાર મળ્યો.. આમ 2003માં આ સુંદર મંદિરનું નિર્માણ કરાયુ. જેમાં ન માત્ર કૃપાળુ સાંઈબાબાની પરંતુ દત્તાત્રેય ભગવાન, દૂંદાળા દેવ ગણેશજી, પવનપુત્ર હનુમાનજી, શ્રીરામ સંગ સીતાજી અને લક્ષ્મણજી, જલારામ બાપા, યોગેશ્વર ભગવાન, લક્ષ્મી મા, સરસ્વતી મા,અંબા માતા, ભોલેનાથ સાથે મા પાર્વતીની પણ સ્થપના કરાઈ છે.
વર્ષ 2005માં મંદિર ટ્રસ્ટ દ્વારા સાંઈબાબાનો શયન ખન્ડ, બાબાની અખંડ ધુણી, બાબાની ભાવ સમાધીનું નિર્માણ કરાયુ. તો સાથે જ દ્વારિકામઈ અને સાંઈબાબાનું જીવનચરિત્ર દર્શાવતો હોલ અને સત્સંગ હોલનું પણ નિર્માણ કરાયુ. દર ગુરુવારે પધારતા ભક્તો માટે સવારે મોરૈયાનો પ્રસાદ અને સાંજે ખીચડીના પ્રસાદનું વિતરણ કરવાની પરંપરા ચાલી આવે છે.
સાંઈના આ ધામમાં દર વર્ષે વિવિધ ઉત્સવોની ઉજવણી થાય છે જેમાં ગુરુપૂર્ણિમા, દશેરા, બાબાનો સમાધિનો દિવસ, જલારામ જયંતિ, ગોકુળ અષ્ટમી, રામનવમી ,દત્તાત્રેય જયંતિ, શિવરાત્રી, નવરાત્રિ વગેરેની ઉજવણીમાં ભક્તો આસ્થાભેર જોડાતા હોય છે. ખાસ કરીને ભાઈ બીજે અહિંથી નીકળતી પાલખીયાત્રા મહારાષ્ટ્રની શીરડી ધામ સુધી કાઢવામાં આવે ચે. આ દરમિયાન તમામ યાત્રીઓનો ખર્ચ મંદિર ટ્રસ્ટ તરફથી ઉપાડાય છે.
બાબાની આ પ્રતિમાની શોભામાં વધારો કરે છે તેમના આ સુંદર વાઘા જે બજારમાંથી નહિ પરંતુ ભક્તોના હાથે બનાવેલા છે. સાંઈબાબાએ આપેલા માનવસેવાના સંદેશને આ ધામમાં સાર્થક કરવામાં આવ્યો છે. તેથી જ વર્ષ દરમિયાન નેત્ર ચિકિત્સા કેમ્પ અને વિવિધ રોગના નિવારણ કેમ્પનું આયોજન કરાય છે. આમ સુરતના સરોલીનું આ સાંઈમંદિર આસ્થા અને માનવસેવાના સુભગ સમન્વય સમાન મંદિર બન્યુ છે.
ગાંધીનગરના માણસા તાલુકાનું ઉનાવા ગોગા મહારાજ મંદિર અદભુત શ્રદ્ધાધામ