રાજકોટ જીલ્લાનું કાગવડ એક લોકપ્રિય ખોડલધામ બની ગયું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જાન્યુઆરી 2017માં.. આ મંદિરનાં નિર્માણ માટેનાં પથ્થરો ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા. અને ઓરિસ્સાનાં કારિગરો દ્વારા સુંદર કોતરણી કરીને આ ભવ્ય મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યુ છે.
મંદિરની ફરતે રામાયણ અને મહાભારતનાં પાત્રો તેમજ પ્રસંગોને પથ્થર પર જાણે અદભૂત રીતે આલેખાયા છે. ઉપર અને નીચે મળીને કુલ 238 પિલ્લર પર આ મંદિર અડિખમ ઉભેલું છે.
ગર્ભગૃહમાં મા ખોડિયારની પ્રતિમા એકદમ જીવંત ભાસે છે. શક્તિ સ્વરુપા મા ખોડલ જાણો સાક્ષાત દર્શન આપતા હોય તેવી અનુભૂતિ તમામ ભક્તોને થાય છ. માતાજીની પ્રતિમાને દરરોજ અલગ અલગ દિવ્ય શણગાર કરવામાં આવે છે. નવરાત્રી ચાલી રહી છે ત્યારે માંની બાજુમાં ગરબાની સ્થાપના પણ કરાઈ છે. સુંદર વસ્ત્રાલંકારોમાં શોભિત મા ખોડલ દરેક ભક્તની મનોકામના પૂરી કરે અભય વરદાન આપે છે. મા ખોડલની સાથે અહિં ગર્ભ ગૃહમાં શિવલિંગ પણ આવેલું છે.
તો વળી મંદિરમાં રાંદલ માતાજી, ચામુંડા માં, રાધા –કૃષ્ણ , સીતારામ, માં અન્નપૂર્ણા સહિતની પણ સ્થાપના કરવામાં આવી છે. મંદિર પરિસરમાં 108 હવનકુંડ પણ બનાવવામાં આવેલા છે. આ સમગ્ર સ્થાનકના નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરયો નથી.
જ્યારે આ મંદિરની સ્થાપના કરવામા આવી ત્યારે કુલ ત્રણ રેકોર્ડ પણ અહીં સ્થાપિત થયા હતા. એક તો સ્થાપના વખતે માતાજીનો રથ કુલ 500 તાલુકાનાં 2000 ગામોમાં ફર્યો હતો. 1008 હવન કુંડનો રેકોર્ડ નોંધાયો.. અને ત્રણ લાખ લોકોએ એક સાથે રાષ્ટ્રીય ગીત ગાયુ. વિશ્વનું પ્રથમ એવું મંદિર છે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવામાં આવ્યો હતો.
કાગવડ ખોડલધામમાં સવાર સાંજ માંની આરતી કરવાની સાથે રોજ ધજા ચઢાવવામાં આવે છે. રાજ્યભરમાંથી આવતા ભક્તો સંગીતના તાલે માની આરતીમાં લીન થાય છે. મહિલાઓ ભજન કિર્તન અને ગરબા રમીને માંને રીઝવવાનો પ્રયાસ કરે છે. તો અહીં પરિસરમાં બનાવેલા સુંદર વનમાં વિવિધ પ્રકારના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. કહી શકાય કે કાગવડના આ ખોડલ ધામમાં ભક્તિ અને શક્તિનો સંગમ જોવા મળે છે. પર્યાવરણની જાળવણી, લોકોનાં વિકાસ અર્થેનાં કાર્યો. પરોપકારનાં કાર્યોનો સંગમ અહીં જોવા મળે છે.
આમ કાગવડનું ખોડલધામ ખૂબ જ ઓછા સમયમાં પણ લોકોની અપાર આસ્થાનું કેન્દ્ર બનેલું છે. દૂર દૂરથી અહીં ભક્તો આવે છે અને માંનાં ચરણોમાં શિષ ઝૂકાવે છે.